સુરતમાં આમ આદમી પાર્ટી પર ટિકિટના બદલામાં નાણાં લેવાના ગંભીર આક્ષેપો સાથે વિવાદ વકર્યો છે, જેમાં સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં AAPના વોર્ડ નં. 1-2ના પ્રભારી ઓમપ્રકાશ સામે રૂ. 18 લાખની સોદાબાજી કરી લાખો રૂપિયા પડાવ્યાની ગંભીર ફરિયાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
https://www.instagram.com/reel/DXi9SufE3yA/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
ફરિયાદી નવનીત નાવડીયાએ આક્ષેપ કર્યો છે કે, તેની પત્ની માટે ટિકિટ અપાવવાના બહાને પ્રભારીએ રૂ. 18 લાખની માંગણી કરી હતી. જે બાદમાં 8 લાખમાં નક્કી થઈ હતી. આ સમગ્ર સોદાબાજીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેણે ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધારી દીધો છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના બે દિવસ પહેલાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના દિલ્હીના સહયોગી ઓમ પ્રકાશ સામે ટિકિટના બદલે નાણાં માંગવાનો ગંભીર આક્ષેપ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેમાં AAPના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર નાવડીયાના પિતરાઈ ભાઈ નવનીત નાવડીયાએ આક્ષેપ કર્યો છે કે, તેમની પત્ની લિપ્સા માટે ટિકિટની માંગણી કરવામાં આવતા પ્રભારીએ 18 લાખની માંગ કરી હતી.
https://www.facebook.com/share/v/1H5LaNzqxx
ચૂંટણી ટિકિટ અને મેન્ડેટના નામે 18 લાખની માંગણી
AAPના નવનીતભાઈ ચંદુભાઈ નાવડીયા, જેઓ પાર્ટીમાં ઝોન ઇન્ચાર્જ તરીકે સેવા આપે છે, તેમણે આક્ષેપ કર્યો છે કે, 2026ની મહાનગરપાલિકાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા ઓમપ્રકાશે તેમને જણાવ્યું હતું કે ચૂંટણી લડવા માટે પાર્ટીનું મેન્ડેટ જરૂરી છે. ઓમપ્રકાશે કતારગામ ખાતે એક મુલાકાત દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘આ વખતે વોર્ડ જીતી જવાય તેમ છે, તેથી મેન્ડેટ મેળવવા માટે 18 લાખ રૂપિયા આપવા પડશે.’ આરોપીએ એવી લાલચ પણ આપી હતી કે જો તેઓ કોર્પોરેટર બનશે તો 6 મહિનામાં આ રકમ કમાઈ લેશે.
ટુકડે-ટુકડે ૩ લાખ રૂપિયા પડાવ્યા, વોટ્સએપ કોલિંગથી માનસિક ટોર્ચર
લાંબી રકઝક બાદ આખરે ૮ લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. ફરિયાદીએ તારીખ ૨૫-૦૩-૨૦૨૬ના રોજ કિરણચોક પાસે ૨.૫૦ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ વધુ ૨૦,૦૦૦ રૂપિયા એટીએમમાંથી ઉપાડી અને અન્ય ૩૦,૦૦૦ મળી કુલ ૫૦,૦૦૦ રૂપિયા બીજા હપ્તા પેટે આપ્યા હતા. આમ, કુલ ૩ લાખ રૂપિયા લીધા બાદ પણ આરોપીઓ વધુ ૨ લાખની માંગણી કરતા હતા અને દિવસમાં અનેકવાર વોટ્સએપ કોલ કરીને ફરિયાદીને માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આરોપીઓ ભૂગર્ભમાં, પોલીસ કાર્યવાહીની માંગ
આ સમગ્ર કૌભાંડમાં ઓમપ્રકાશ ઉપરાંત આકાશ મિશ્રા સામે નવનીતભાઈએ સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પૈસા પરત માંગતા આરોપીઓએ ફોન બંધ કરી દીધા હતા. ફરિયાદીએ પોતાની પાસે રહેલા કોલ રેકોર્ડિંગ અને ફૂટેજના આધારે ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનર સમક્ષ લેખિત રજૂઆત પણ કરી હતી.