અમદાવાદમાં નવરાત્રિના પ્રથમ નોરતું હોવા છતાં ગરબા શરૂ થાય તે પહેલા રસ્તાઓ પર ભારે ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા. ચારથી પાંચ કલાક ગરબા ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમ્યા બાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ખાણીપીણીના સ્ટોલ પર અને ફૂડ કોર્ટમાં ખેલૈયાઓએ ખાણીપીણીની મોજ માણી હતી. તો બીજી તરફ અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2025’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ભવ્ય ગરબા મહોત્સવને માણ્યો હતો. આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગરબા ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યા છે, જેથી મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ સ્ટેજ પરથી જ ગરબા નિહાળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ, મેયર અને ધારાસભ્યો સાથે ઉપસ્થિત રહીને મા અંબાની આરતી કરી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. તેમણે પોતાના સંબોધનમાં સૌને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, નવરાત્રિ સદીઓની પરંપરા છે, જે હવે શેરી ગરબાથી લઈને પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડ સુધી વિસ્તરી છે. ગુજરાત ઉપરાંત હવે રાજસ્થાનના ઉદયપુર અને દિલ્હીમાં પણ ગરબાનું આયોજન થઈ રહ્યું છે.
મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ નવરાત્રિના શુભારંભ પૂર્વે નવ સંકલ્પ આધારિત થીમેટિક પ્રદર્શન, ફોટો-ઝોન, સેલ્ફી પોઈન્ટ, બાળકો માટેની ખાસ તૈયાર કરેયલી કિડ્સ સિટી, ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટ બજાર જેવા ઊભા કરવામાં આવેલા આકર્ષણોની પણ મુલાકાત લીધી હતી અને સ્ટોલ્સમાં સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો. એટલું જ નહિ, કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત 11 વર્ષ સુશાસનના થીમ પરના મલ્ટીમીડિયા એક્ઝિબિશનને પણ ખુલ્લું મૂક્યું હતુ.
સુવર્ણ પાર્ટી પ્લોટમાં AC ડોમમાં સેલ્ફી પોઈન્ટ અને વિવિધ સ્ટોલ્સનું આયોજન કરાયું છે. બીજી તરફ, નવરાત્રીના પ્રથમ દિવસે ગરબા આયોજકો માટે હજી પોલીસ પરવાનગીની પ્રક્રિયા ચાલુ છે. અમદાવાદમાં 83 અરજીઓ પૈકી 73 અરજીઓને ફાયર NOC બાદ મંજૂરી આપવામાં આવી.
ગરબાનો રંગ જામ્યા બાદ મોડી રાત્રે માણેકચોકમાં પણ ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં ખેલૈયાઓએ પાવભાજી, સેન્ડવીચ અને પિઝા જેવા આઉટલેટ પર પેટપૂજા કરીને દિવસનો અંત કર્યો હતો.