ગુજરાત ST વિભાગ દ્વારા સુરતમાં 40 નવી બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આ બસોને લીલી ઝંડી આપી હતી. આ 40 બસમાં 5 નવી વોલ્વોનો પણ સમાવેશ થાય છે.
આ વોલ્વોમાં સુવિધા હાલની વોલ્વો બસ જેવી જ છે, જોકે ભાડું એના કરતાં 25% ઓછું છે, જેથી મુસાફરોને રાહત થશે. હાલની વોલ્વોનું ભાડું પ્રતિ કિમી 2.50 રૂપિયા છે, જે નવી વોલ્વોમાં રૂ.1.50 છે.
આ પ્રસંગે હર્ષ સંઘવીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ની કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું કે એક વર્ષમાં 2000થી વધુ બસ મૂકવામાં આવી છે. ST વિભાગના લક્ષ્ય વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આવનારા દસ દિવસમાં, એટલે કે દિવાળીના તહેવાર પહેલાં નાગરિકો માટે બીજી નવી બસો ચાલુ કરવાનો ST વિભાગનો ટાર્ગેટ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે ST દ્વારા છેલ્લાં બે વર્ષમાં 2.15 લાખ જેટલા પેસેન્જર વધારવામાં સફળતા મળી છે, જે આજ સુધીનો ઐતિહાસિક વધારો માનવામાં આવી રહ્યો છે. આ સિદ્ધિ બદલ STના તમામ ડ્રાઇવર, કંડકટર અને તેમના પરિવારજનોનો આભાર.
વાહનવ્યવહાર મંત્રીએ આ વર્ષની નવરાત્રિમાં મા અંબાજીની ભક્તિ સાથે ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ નજરે પડી હોવાનું જણાવી માહિતી આપી કે રાજ્યભરમાં અત્યારસુધી 7000થી વધુ નાનાં-મોટાં આયોજનોમાં ‘ઓપરેશન સિંદૂર’ના થીમ પર ગરબા જોવા મળી રહ્યા છે. આ દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા બદલ તેમણે ગરબા રમનારા ખેલૈયાઓ અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં હતાં.