અમદાવાદ જિલ્લામાં કમોસમી વરસાદના વિરામ બાદ રસ્તા ઉપર પેચવર્ક તથા રસ્તાને કાચામાંથી ડામર રોડ બનાવવા, રસ્તાને રીસર્ફેસિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. હાલમાં અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં રસ્તાઓના ડામર કામ પ્રગતિમાં છે. આ કામો પૈકી દસકોઈ તાલુકામાં નેશનલ હાઇવે ૪૭ (અમદાવાદ ઇન્દોર હાઇવે) થી ભાવડા ઉંદરેલ મામાકાનો માર્ગ એ જિલ્લાનો મુખ્ય માર્ગ છે. આ રસ્તાની હયાત ડામર સપાટીની પહોળાઈ ૫.૫૦ મીટર તથા રસ્તાની લંબાઈ ૮.૬૦ કિ.મી. છે. આ રસ્તામાં હાલમાં ડામર કામગીરી પ્રગતિમાં છે. જેના પરિણામે ભાવડા, બાકરોલ જેવા ગામો કે, જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે તથા આ ગામોની અમદાવાદ શહેર સાથેની નિકટતાને કારણે આવનાર દિવસોમાં વિકાસ પામનાર એસ્ટેટોના નવીનીકરણ માટે આવનાર કોમર્શિયલ વાહનો તથા ભવાડા, ઉંદરેલ, હીરાપુર, હરણીયાવ જેવા ગામોની અંદાજિત ૧૫,૦૦૦ જેટલી વસ્તીને આ રસ્તો બનવાથી વાહન વ્યહવાર અને અવર-જવરમાં વધુ સુવિધા પ્રાપ્ત થશે .
જ્યારે દસકોઇ તાલુકાના અન્ય રસ્તાઓ જેવા કે, પિરાણા, નાઝ, જેતલપુર કે, જે જિલ્લાનો મુખ્ય માર્ગ માર્ગ છે અને જેની લંબાઈ ૫.૬૦ કિ.મી. છે અને હયાત ડામર સપાટીની પહોળાઈ ૧૦.૦૦ મીટર છે . આ રસ્તો એ નેશનલ હાઇવે ૬૪ (અમદાવાદ-વડોદરા હાઇવેને અને સરદાર પટેલ રિંગ રોડને જોડતો અગત્યનો માર્ગ છે) આ માર્ગનું ડામરકામ આવનાર ૧૦ દિવસમાં શરૂ કરવામાં આવનાર છે. જેના કારણે આ રસ્તા ઉપર આવેલ ઔદ્યોગિક એકમો તથા પિરાણા, નાઝ, ગીરમથા, મીરોલી જેવા ગામોની અંદાજિત ૧૨,૦૦૦ જેટલી વસ્તીને અમદાવાદ શહેરમાં અવર જવર માટે સરળતા પુરી પાડશે.
તે ઉપરાંત, વટવા, ગામડી, ચોસર, જેતલપુર રોડ એ અન્ય જિલ્લા કક્ષાના માર્ગ છે. આ રસ્તાની હયાત ડામર સપાટીની પહોળાઈ ૫.૫૦ મીટર તથા લંબાઈ ૮.૦૦ કિ.મી. છે. આ રસ્તો અમદાવાદ શહેરના વટવા વિસ્તારને જેતલપુર સ્વામિનારાયણ મંદિર સાથે જોડતો અગત્યનો રસ્તો છે. આવનારા ૨ દિવસની અંદર આ રસ્તાનું ડામર કામ શરૂ થનાર છે. નવીન ડામર રોડ બનવાથી આ રસ્તાની બંને બાજુ આવેલ ઔદ્યોગિક એકમો, આધારશિલા શાળા, NSIT જેતલપુર એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ, ગામના રહેવાસીઓ તથા પ્રસિદ્ધ જેતલપુર સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓને નવીન ડામર રોડ થવાથી મુસાફરીમાં સરળતા થશે.
