મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે પસંદગી પામેલા 1500થી વધુ એડવોકેટને ગાંધીનગરમાં પ્રમાણપત્રો એનાયત કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે પસંદગી પામેલા 1500થી વધુ એડવોકેટને ગાંધીનગરમાં પ્રમાણપત્રો એનાયત કર્યા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા બાર કાઉન્સિલને 28 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે. આ અવસરે નોટરી પોર્ટલ પણ લોન્ચ કરીને રાજ્યમાં ઈ-નોટરી સિસ્ટમ તબક્કાવાર વિકસાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના વિકાસ માટે કાયદાનું શાસન મહત્વનું છે. કાયદાકિય પ્રણાલીમાં દસ્તાવેજનું મહત્વ છે. નોટરીનો સિક્કો જ સૌથી મોટો વિશ્વાસ છે. તેમણે કહ્યું હતું કે, રાજ્યની સ્થાપના બાદ પહેલી વાર એક સાથે આટલા વકીલોને નોટરી એનાયત થઈ રહી છે. પહેલાના કાયદા દંડ માટે હતા હવેના કાયદા ન્યાય માટે છે. તમારા પર લોકોને વિશ્વાસ છે જેને તમે કાયમ રાખશો તેવો મને વિશ્વાસ છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, નોટરી પોર્ટલ પણ ડિજિટલ યુગમાં મહત્વપૂર્ણ રહેશે. આ ઉપરાંત જરૂરી દસ્તાવેજો ઓનલાઈન અપલોડ કરવાની કામગીરી પણ મહત્વપૂર્ણ રહેશે. નોટરી હવે ડિજિટલ થવાથી પર્યાવરણને પણ લાભ થશે. પારદર્શકતા સાથે સ્વદેશીને મહત્વ અને વેગ મળ્યો છે. દસ્તાવેજોની પ્રકિયામાં નોટીરીની ભૂમિકા પણ મહત્વની છે.નોટરીનો સિક્કો જ સૌથી મોટો વિશ્વાસ છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વકીલાત એ નોબલ કાર્ય છે. રાજ્યનો નોટરી ક્વોટા વધારીને 6 હજાર કર્યો છે. અમરેલીમાં ગૌ હત્યા માટે આજીવન કેદની સજા અપાવી છે. કોર્ટમાં તારીખો ના પડે તેનું વકીલો ધ્યાન રાખે. કાયદામંત્રી કૌશિક વેકરિયાએ કહ્યું હતું કે, નોટરીનું છેતરપિંડીના કેસમાં ખૂબ મહત્વ છે. નોટરી પર લોકોનો ભરોસો ટકી રહે તે જરૂરી છે.
