ભારત સરકારના માર્ગદર્શન હેઠળ લીડ બેન્ક – સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદ દ્વારા જિલ્લાના ગ્રાહકોમાં નાણાકીય જાગૃતિ અને અધિકારો વિશે માર્ગદર્શન આપવા માટે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘તમારા નાણાં, તમારા અધિકારો'(‘YOUR MONEY, YOUR RIGHTS’) અંતર્ગત યોજાનાર પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ આગામી તારીખ ૧૪ નવેમ્બર, ૨૦૨૫, ગુરુવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સરદાર વલ્લભ ભાઈ પટેલ મેમોરિયલ હોલ, શાહીબાગ, અમદાવાદ ખાતે યોજાશે.
જિલ્લાની બેન્કોના ખાતામાં પડેલી દાવા વગરની રકમ એટલે કે અનક્લેમ રકમ લોકોને પરત આપવા માટે કેન્દ્ર સરકારે શરૂ કરેલા અભિયાન અંતર્ગત ‘તમારા નાણાં, તમારા અધિકારો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગ્રાહકોને તેમની અનક્લેમ રકમ એટલે કે દાવા વગરની રકમ મેળવવા માટે મદદ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન લીડ બેન્ક – સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો ઉદ્દેશ ગ્રાહકોને તેમના નાણાકીય હક્કો અને સાક્ષરતા વિશે સંપૂર્ણ જાણકારી પૂરી પાડવાનો છે. અમદાવાદના તમામ નાગરિકોને આ મહત્વપૂર્ણ માર્ગદર્શનનો લાભ લેવા માટે ઉપસ્થિત રહેવા માટે લીડ બેન્ક – સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદ દ્વારા અપીલ કરવામાં આવે છે.
આ અંગે વધુ માહિતી અને સહાયતા માટે નાગરિકો પોતાની બેંક શાખાનો સંપર્ક કરી શકે છે.
