PM કિસાન સન્માન નિધિના 21માં હપ્તાથી રાજ્યના 49.31 લાખ ધરતીપુત્રોને 986 કરોડ રૂપિયાની સહાય મળી
Views: 54
0 0

Read Time:8 Minute, 28 Second

વડાપ્રધાનશ્રીએ આ અવસરે દેશભરના ૯ કરોડથી વધુ ખેડૂતોને ૨૧માં હપ્તા પેટે ૧૮ હજાર કરોડ રૂપિયાની સહાય આપી હતી. ગુજરાતના ૪૯.૩૧ લાખથી વધુ કિસાનોને આ સહાય અંતર્ગત ૯૮૬ કરોડ રૂપિયા ડી.બી.ટી.થી મળશે.

ગાંધીનગરમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં કિસાન સન્માન નિધિ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાએ ૧૧.૬૮ લાખ રૂપિયાથી વધુની વિવિધ કૃષિ સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ કરવા અનેક કલ્યાણકારી યોજનાઓ આપી છે. એટલુ જ નહીં, ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે ગ્રીન કવર વધારીને સુરક્ષા આપવાનો અભિગમ ‘એક પેડ માં કે નામ’ અને પ્રાકૃતિક કૃષિ જેવા અભિયાનોથી અપનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ રસાયણયુક્ત ખેતીથી જમીન અને માનવ બંનેનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે તેના ઉપાયરૂપે વડાપ્રધાનશ્રીએ પ્રાકૃતિક ખેતીનો અપનાવવાનો જે ખ્યાલ આપ્યો છે તે ભવિષ્યની પેઢીના સ્વસ્થ અને તંદુરસ્ત જીવન તથા જમીનની ફળદ્રુપતા વધારવામાં ઉપયોગી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતીને ભવિષ્યની ખેતી છે ગણાવતાં આ ખેતી અપનાવવી એ હવેના સમયની માંગ છે તેમ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બીજથી બજાર સુધીના દરેક તબક્કે વડાપ્રધાનશ્રી ખેડૂત હિતલક્ષી નિર્ણયોથી તેની પડખે રહ્યા છે તેમ જણાવતાં કહ્યું કે, આ વર્ષના બજેટમાં પીએમ ધનધાન્ય કૃષિ યોજના શરૂ કરવાનું જે કમિટમેન્ટ કર્યું હતું તે પણ 6 વર્ષના સમયગાળા માટે અમલી બનાવીને અન્નદાતાની દરકાર કરીને ‘જે કહેવું તે કરવું’ પુરવાર કર્યું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રીની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે ગુજરાતના લગભગ ૯૮ ટકાથી વધુ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે. ખેડૂતોને પૂરતું પાણી અને વિજળી મળવાના કારણે રાજ્યના કૃષિ ક્ષેત્રનું ચિત્ર સમગ્રતયા બદલાઈ ગયું છે અને ખેડૂત સમૃદ્ધ થયો છે.

વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં ૨૦૦૫માં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શરૂ કરાવેલા કૃષિ મહોત્સવથી રાજ્ય સરકાર ખેડૂતોને તેમના ખેતરમાં સામે ચાલીને જઈને કયો પાક વધુ લઈ શકાય, વેલ્યુ એડિશન કરીને કેવી રીતે વધુ આવક મળે, એ બધી સમજ આપે છે અને લેબ ટુ લેન્ડનો એપ્રોચ સુપેરે સાકાર થયો છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ ખેડૂતોની ચિંતા કરી છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકે તેમણે ખેડૂતલક્ષી અનેક પહેલ શરૂ કરી છે, જેને આજે રાજ્યના નિખાલસ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે.

કૃષિ મંત્રી શ્રી વાઘાણીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તામિલનાડુ ખાતેથી આજે ‘પી.એમ. કિસાન સમ્માન નિધિ’ યોજનાના ૨૧મા હપ્તાનું વર્ચ્યુઅલ માધ્યમથી વિતરણ કરવામાં આવ્યું છે, તેમાં રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગ્રામ પંચાયત, એપીએમસી વગેરેમાંથી અંદાજે ૩ લાખ જેટલા ખેડૂતો ઓનલાઈન માધ્યમથી જોડાયા છે.

કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે યાંત્રિકરણ, પાક સંરક્ષણ, કૃષિમાં નેનો ટેકનોલોજી અને આઈટીનો ઉપયોગ, પ્રાકૃતિક ખેતી, ઝીરો બજેટ ખેતી, કિસાનો માટે ઉત્પાદન વધે, ખર્ચ ઘટે અને વધુ વેચાણ પણ થાય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે દિન-પ્રતિદિન આપણી ખેતી-જમીન બંજર બનતી જાય છે, જેના કારણે વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ અનેક રોગનો ભોગ ન બને તે માટે પ્રાકૃતિક કૃષિને અપનાવવી જોઈએ. જે અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મિશન મોડ પર કામ કરવામાં આવી રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ખેડૂતોને ઉપકારના નહીં પણ સેવાના ભાવથી સન્માન આપવા માટે વર્ષ ૨૦૧૯થી ‘પી.એમ. કિસાન સમ્માન નિધિ` યોજનાની સમગ્ર દેશભરમાં શરૂઆત કરાવી છે. આ યોજનાના અસરકારક અમલીકરણ અને સંપૂર્ણ પારદર્શિતાના પરિણામે ખેડૂતોના સીધા બેંક ખાતામાં પૈસા પહોંચી રહ્યા છે. કૃષિ પેદાશોનો બજારમાં નીચો ભાવ હોય ત્યારે એમ.એસ.પી.થી ખરીદી કરવાનો મોટો નિર્ણય પણ વડાપ્રધાનશ્રી દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં લગભગ એક લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી કિસાનોએ ૨૯૩ કેન્દ્રો ઉપર પહોંચાડી છે. આજે રાજ્યમાં રૂ. ૧૧૦૦ કરોડથી વધુની ખરીદી થઈ ચૂકી છે.

કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુ શર્માએ સ્વાગત ઉદબોધન કરતા કહ્યું હતું કે, ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા વાવેતરથી વેચાણ સુધીની યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. સરકાર સુધારેલા બિયારણો, ખાતરો, યાંત્રિક ઓજારો, પ્રાકૃતિક ખેતી, કૃષિ રાહત પેકેજ, ટેકાના ભાવની ખરીદીને લગતી યોજનાઓના માધ્યમથી ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે. નવીન આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરી ખેડૂતો અનેક લાભ મેળવી રહ્યા છે તેમ અધિક મુખ્ય સચિવશ્રીએ જણાવ્યુ હતું.

આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાનશ્રીએ દેશના ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ૧૫ ખેડૂત લાભાર્થીઓને કૃષિ, બાગાયતની વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા, મેયર શ્રી મીરાંબહેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, જી.એસ.આઇ.સી.ના મેનેજિંગ ડાયરેકટર શ્રી વિજય ખરાડી, કલેકટર શ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.પટેલ તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!