વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવા પ્રધાનમંત્રી કાર્યાલય (PMO), રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય (NSCS) અને કેબિનેટ સચિવાલય ભવન સંકુલનું ‘સેવા તીર્થ’ નામનું અનાવરણ કર્યું. પીએમ મોદી આજે જ નવા PMOમાં શિફ્ટ થશે.
હાલમાં PMO અને મંત્રાલયોની ઓફિસો નવી દિલ્હી સ્થિત સેક્રેટરીએટ બિલ્ડિંગના નોર્થ અને સાઉથ બ્લોકમાં છે. આ બંને ઇમારતો લગભગ 78 વર્ષથી દેશની સત્તાનું કેન્દ્ર રહી છે. સાંજે લગભગ 6 વાગ્યે સેવા તીર્થ સાથે કર્તવ્ય ભવન-1 અને 2નું ઉદ્ઘાટન કરશે, ત્યારબાદ જાહેર સંબોધન કરશે. કર્તવ્ય ભવન-1 અને 2 માં કેન્દ્ર સરકારના મંત્રાલયો માટે નવી ઓફિસો હશે.
શુક્રવારે અહીં સરકારના કામકાજનો છેલ્લો દિવસ હશે. સેવા તીર્થમાં શિફ્ટ થતા પહેલા PM મોદી સાઉથ બ્લોકમાં કેન્દ્રીય કેબિનેટની વિશેષ બેઠક કરશે. આ બેઠક શુક્રવારે સાંજે 4 વાગ્યે નક્કી છે. આ બ્રિટિશ કાળની સેક્રેટરીએટ બિલ્ડિંગમાં છેલ્લી કેબિનેટ બેઠક હશે.
સેવા તીર્થનો અર્થ છે ‘સેવાનું સ્થાન’. પહેલા તેનું નામ ‘એક્ઝિક્યુટિવ એન્ક્લેવ’ રાખવામાં આવ્યું હતું, પરંતુ 2 ડિસેમ્બર 2025ના રોજ તેનું નામ બદલીને સેવા તીર્થ રાખવામાં આવ્યું. આ નવી દિલ્હીમાં દારા શિકોહ રોડ પર એક્ઝિક્યુટિવ એન્ક્લેવમાં આવેલું છે.
આ લગભગ 2.26 લાખ ચોરસ ફૂટ (લગભગ 5 એકર) માં બનેલું છે. તેને એલ એન્ડ ટી કંપનીએ ₹1189 કરોડમાં બનાવ્યું છે. સેવા તીર્થ કોમ્પ્લેક્સમાં ત્રણ ઇમારતો છે – સેવા તીર્થ-1, સેવા તીર્થ-2 અને સેવા તીર્થ-3. સેવા તીર્થ-1માં વડાપ્રધાન કાર્યાલય (PMO) છે.
સેવા તીર્થ-2 માં કેબિનેટ સચિવાલય અને સેવા તીર્થ-3 માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ઓફિસ છે. આ બધી ઓફિસો પહેલા અલગ-અલગ જગ્યાએ હતી. કેબિનેટ સચિવાલય સપ્ટેમ્બર 2025 માં જ સેવા તીર્થ-2 માં શિફ્ટ થઈ ચૂક્યું છે.
નવા PMOની નજીક જ વડાપ્રધાનનું નવું નિવાસસ્થાન પણ બની રહ્યું છે. તે તૈયાર થયા પછી, વડાપ્રધાન 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત હાલના નિવાસસ્થાનથી નવા નિવાસસ્થાનમાં શિફ્ટ થઈ જશે. જોકે, હજુ તેની તારીખ જાહેર થઈ નથી.
