ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર, નવસારી જિલ્લાની આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે વિગતવાર માહિતી આપી હતી. સુધારણા પ્રક્રિયા બાદ જિલ્લામાં કુલ 9,66,231 મતદારોના નામ આખરી યાદીમાં સમાવિષ્ટ કરાયા છે.
જિલ્લા ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, મતદારયાદીની પ્રક્રિયા દરમિયાન મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. મુસદ્દા યાદી પહેલા નવસારી જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોમાં કુલ 10,95,900 મતદારો હતા. મુસદ્દા પ્રસિદ્ધિ બાદ આ સંખ્યા ઘટીને 9,59,337 થઈ હતી, જે હવે આખરી યાદીમાં 9,66,231 પર પહોંચી છે.
જે યુવાનોએ 01-01-2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કર્યા છે, તેઓ હજુ પણ પોતાનું નામ નોંધાવી શકે છે. સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ફોર્મ નં. 6 ભરીને આગામી સમયમાં પ્રસિદ્ધ થનારી યાદીમાં નામ દાખલ કરાવી શકાશે.
આ ઉપરાંત, મતદારયાદીમાં નામ કમી કરવા માટે ફોર્મ નં. 7 અને સુધારા માટે ફોર્મ નં. 8 ભરવાની પ્રક્રિયા પણ ચાલુ રહેશે. નાગરિકો આ ફોર્મ ભરીને જરૂરી સુધારા કરાવી શકશે.
નાગરિકો મતદારયાદીમાં પોતાનું નામ વિવિધ માધ્યમો દ્વારા ચકાસી શકે છે. આ માટે ceo.gujarat.gov.in વેબસાઇટ, voters.eci.gov.in પોર્ટલ અથવા ECINET મોબાઈલ એપનો ઉપયોગ કરી શકાય છે. રૂબરૂમાં સંબંધિત BLO, જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી અથવા ERO/AERO કચેરી ખાતેથી પણ માહિતી મેળવી શકાશે.
https://www.facebook.com/share/v/1L1RhBjkmf
નવું નામ નોંધાવવા માટે (જો નામ યાદીમાં ન હોય તો) ફોર્મ નં. 6 ભરીને જરૂરી આધાર-પુરાવા અને ડેક્લેરેશન સાથે ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરી શકાય છે. યાદીમાં વિગતો ખોટી હોય તો ફોર્મ નં. 8 ભરીને સુધારો કરાવી શકાય છે, જ્યારે કોઈપણ પ્રકારના વાંધા રજૂ કરવા માટે ફોર્મ નં. 7 ભરી શકાશે.