જમ્મુના ઉધમપુરમાં સોમવારે સવારે એક બસ કગોટ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ પલટી જતાં જ તેમાં બેઠેલા મુસાફરો ઉછળીને બહાર પડ્યા હતા, જેમાંથી કેટલાકના મૃતદેહ રસ્તા પર વિખરાયેલા પડ્યા હતા. ઘાયલોને સારવાર માટે ઉધમપુર મોકલવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે.
કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે અકસ્માત થયેલ બસ પબ્લિક ટ્રાન્સપોર્ટની હતી. બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી છે. જાનમાલનું મોટું નુકસાન થવાની સંભાવના છે. ઘાયલોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ગંભીર રીતે ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવશે.
ડીઆઈજી શિવ કુમાર શર્મા (રિયાસી-ઉધમપુર રેન્જ)એ ન્યૂઝ એજન્સી IANSને જણાવ્યું હતું કે 15 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
અકસ્માત સ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે અકસ્માત ઓવરલોડિંગ અને પુરપાટ ઝડપને કારણે થયો હતો. ઘાયલ મુસાફરોની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ડ્રાઇવર ખૂબ જ પુરપાટ ઝડપે બસ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન ટાયર ફાટવાને કારણે બસ પરનો કન્ટ્રોલ ગુમાવ્યો, જેના કારણે બસ લગભગ 100 ફૂટની ઊંચાઈથી નીચે ખાબકી હતી.