દેશના અલગ અલગ વિસ્તારોમાંથી માઇ ભક્તો પગપાળા માં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચતા હોય છે. ત્યારે આ મહા કુંભમાં ત્રીજા દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટ્યા હતાં. અત્યાર સુધીમાં આઠ લાખ કરતા વધુ ભક્તોએ દર્શન કર્યા છે. નાના બાળકો અને વૃદ્ધો પણ માં જગતજનની ના દર્શને આવ્યાં છે. અંબાજીમાં આ વખતે 875 ગજની ધજા ચડાવાશે.
અંબાજી મંદિરે અમદાવાદના નારણપુરા ગ્રુપ દ્વારા 2626 ફૂટની ધજા ચડાવાશે. હાઈવે પર ધજા લઇને જતા યાત્રીકોનો આકાશી નજારો પણ સામે આવ્યો છે. ભાદરવી પૂનમે મોટા અંબાજીમાં ધજા અર્પણ કરાશે. માં અંબા સેવા કેમ્પ દ્વારા સૌથી મોટી ધજા અર્પણ કરવામાં આવશે. 875 ગજની ધજા ચડાવવાનો આ વિશ્વ રેકોર્ડ છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યો છે. જ્યારે પહેલી ધજા 15 ફૂટ થી શરૂ કરવામાં આવી હતી.
191 વર્ષથી અંબાજી જતા લાલ દંડા વાળા સંઘનું દાંતામાં સ્વાગત
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં ત્રીજા દિવસે આઠ લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કર્યા છે. અંબાજીમાં છેલ્લા ત્રણેક દિવસમાં 6.50 લાખ પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું છે. ભંડાર કેન્દ્રો પર 70 લાખ રૂપિયાની આવક થઈ છે. અંબાજી ગામ અને રસ્તા પર ભક્તિમય માહોલ છવાયો છે. અનેક ભક્તો દંડવત કરી માતાજીના મંદિર પહોંચ્યા છે. અમદાવાદના રાયપુરથી છેલ્લા 191 વર્ષથી અંબાજી જતા લાલ દંડા વાળા સંઘનું દાંતાના રાજવી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. સંઘ દાંતા પહોંચતા જ રાજવીએ સ્વાગત કર્યું હતું.
