ગત જુલાઈ મહિનામાં વડોદરાના પાદરામા ગંભીરા બ્રિજ તૂટ્યો હતો. આ ઘટનામાં 22 લોકોના મોત થયા હતાં. ત્યારે આ મુદ્દો આજથી શરૂ થયેલા વિધાનસભાના સત્ર દરમિયાન ગૃહમાં ગાજ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેનો સરકારે ગૃહમાં જવાબ આપ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધાનસભામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં સરકારે કહ્યું હતું કે, આ ઘટનામાં 22 લોકોના મોત થયાં છે અને ચાર અધિકારીઓને ફરજ મોકૂફ કર્યા છે. સમગ્ર દુર્ઘટના બાદ રાજ્યમાં અન્ય બ્રિજની ચકાસણી કરવામાં આવી છે. જેમાં 1054 મેજર અને 5475 માઈનોર બ્રિજની ચકાસણી કરવામાં આવી છે. આ ઉપરાંત 239 સીડી સ્ટ્રકચર બ્રિજની ચકાસણી કરાઈ છે.
રાજ્ય સરકારે કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે, ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યમાં 148 બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયા છે. જ્યારે 18 બ્રિજ તમામ વાહનો માટે બંધ કર્યા છે. સરકારે વધુમાં કહ્યું હતું કે, સલામતી માટે કોઈ રજૂઆત મળી નથી. આ દુર્ઘટના થઈ તેના બે મહિના પહેલા તેની ચકાસણી કરવામાં આવી હતી. 15મી મેના રોજ આ બ્રિજની ચકાસણી કરવામાં આવી હતી. બ્રીજ દૂર્ઘટનામાં 22 લોકોના મૃત્યુ જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા.નર્મદા કેનાલ પર 2122માંથી 53 પુલ જર્જરિત હોવાનું પણ સરકારે જણાવ્યું હતું. આ પુલ બંધ કરવા અને નવા પુલ બનાવવાની કામગીરી કરાઈ હોવાનું પણ સરકારે ગૃહમાં જણાવ્યું હતું.