એસીપી કૃણાલ દેસાઇએ જણાવ્યુ કે, ગત.૧૩ ઑગસ્ટે મૃતક નયનના પિતરાઇ ભાઇ સ્કૂલમાં પગથીયા ઉતરી રહ્યો હતો તેણે પાછળથી ધક્કો વાગતા તેનો હાથ હત્યા કરનાર મુખ્ય વિદ્યાર્થીને અથડાયો હતો. જે બાદ મુખ્ય વિદ્યાર્થીએ બોલાચાલી કરી હતી પરંતુ ત્યારે સમગ્ર મામલો થાળે પડી ગયો હતો ગત.૧૯ ઑગસ્ટે નયને તુ કેમ મારા પિતરાઇ ભાઇ સાથે બોલાચાલી કરતા હતો તેમ મુખ્ય વિદ્યાર્થીને પૂછી રહ્યો હતો ત્યારે તેનો મિત્ર ત્યાં આવી જઇને કેમ દાદાગીરી કરે છે તેમ કહીને કિચન કટર કાઢીને નયનના પેટમાં મારીને ચાવીની જેમ ફેરવીને કટર કાઢીને નાસી ગયા હતા.
સેવન્થ ડેના વિદ્યાર્થીનું મૃત્યુ આ કારણે થયું
સેવન્થ ડે સ્કુલમાં અંદરોઅંદર વિદ્યાર્થીઓમાં જૂથવાદ ચાલી રહ્યો હતો અને અવાર નવાર કોઇને કોઇ મુદ્દે બોલાચાલી થતી હતી. જ્યારે મોટી બબાલ થાય ત્યારે સમગ્ર મામલે પ્રિન્સિપાલ તેમજ શિક્ષકો પાસે પહોંચતો ત્યારે અંદરોઅંદર માફીપત્ર લખાવીને સમાધાન કરાવી લેતા હતા. આવી જ રીતે, આ બે વિદ્યાર્થી અને નયન વચ્ચે પણ બબાલ થઇ પરંતુ સમાધાનને બદલે સમગ્ર મામલો હત્યામાં પરિણમ્યો હતો.
બીજી તરફ વિદ્યાર્થીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચોંકાવનારો છે. સરદાર પટેલ હોસ્પિટલના 4 સર્જન સહિત 8 ડોક્ટરની ટીમે આપેલા રિપોર્ટ મુજબ પેટ બહાર માંડ 1.5 સેન્ટિમીટરનો ઘા દેખાતો હતો. સર્જરી માટે પેટ ખોલવામાં આવ્યું તો ખબર પડી હતી કે, શરીરને લોહી પહોંચાડતી અને શરીરમાંથી લોહી એકઠું કરતી મુખ્ય ધમની અને મુખ્ય શીરા એમ બે નળી કપાઈ ગઈ હતી. આને કારણે આંત:સ્ત્રાવ થતાં પેટમાં જ અઢી લિટર લોહી જમા થઈ ગયું હતું.
વિદ્યાર્થીને વેન્ટિલેટર પર રાખી બંને નળીને ટાંકા લેવાની સર્જરી 3 કલાક કરાઈ હતી પણ વધુ પડતા આંતરિક રક્તસ્ત્રાવને લીધે તેને બચાવી શકાયો ન હતો. આ ઉપરાંત આંતરડામાં ચાર કાણાં પડી ગયા હતા અને એક જગ્યાએથી આંતરડું ફાટી જતાં શરીરના મહત્ત્વના અંગેનો પૂરતું લોહી ન મળતા મૃત્યુ થયું હતું.
વિદ્યાર્થીની મહાધમની અને મહાશીરા બંનેમાં કાણાં પડતાં પ્રેશરથી લોહી પેટમાં જમા થયું હતું. આ ઉપરાંત એક જગ્યાએ આંતરડું ફાટી ગયું હતું. વધુ પડતા લોહીનો આંતરિક સ્ત્રાવ થતાં હૃદય, કિડની અને મગજ જેવા મહત્ત્વના અંગોને પૂરતું લોહી ન મળતા તેમની કામગીરી અવરોધાઈ હતી. મેડિકલ ભાષામાં તેને હાઈપોવોલેમિક શોક કહે છે.
ક્રાઇમ બ્રાન્ચે સ્કૂલ કેમ્પસના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ કરતા સામે આવ્યું કે, ઈજાગ્રસ્ત વિદ્યાર્થી કેમ્પસમાં આવ્યો અને ૩૦ મિનિટ સુધી ઓટલા પર બેસી રહ્યો. સ્કૂલના સિક્યુરિટી ગાર્ડ, શિક્ષકોએ હોસ્પિટલ લઈ જવાને બદલે તમાશો જોતા રહ્યા. શુક્રવારે ક્રાઈમ બ્રાન્ચ બન્ને સગીરને જૂવેનાઈલ હોમમાં લઈ જશે. હત્યાકાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચે ગુરુવારે પ્રિન્સિપાલ, શિક્ષકો, સિક્યુરિટી ગાર્ડ સહિત ૧૫ જેટલા વ્યકિતઓના ૮ કલાક સુધી નિવેદન નોંધ્યા હતા. સેવન્થ ડે સ્કૂલના બે વિદ્યાર્થીઓએ ધક્કામુકી જેવી બાબતમાં વિદ્યાર્થી નયનના પેટમાં નાનું કટર મારીને આંતરડા બહાર કાઢીને નાસી ગયા હતા. આ બાદ નયને લોહી વધુ ન વહે તે માટે ઇજા પર હાથ રૂમાલ મૂકીને સ્કૂલ કેમ્પસમાં એન્ટ્રી પોઇન્ટ પર બેસી ગયો. બીજી તરફ, મુખ્ય સગીરની પૂછપરછમાં તેણે કબુલાત કરી કે, તેણે ૧૫ દિવસ પહેલા એક સ્ટેશનરીની દુકાનથી નાનું કટર ખરિધું હતું અને તેનાથી જ નયનની હત્યા કરી હતી.
અમદાવાદની ખોખરાની સેવન્થ ડે હાઇસ્કુલ હત્યા મામલે ક્રાઇમ બ્રાંચે બે સગીરની અટકાયત કરી છે. આ કેસની તપાસમાં હત્યા કરનાર વિદ્યાર્થીએ કટરનું કિચેઇન બનાવી લીધું હતું અને તે એક વર્ષથી પોતાની પાસે રાખતો હોવાની વાત પણ સામે આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે 24 કલાકની તપાસ દરમિયાન સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સ્ટાફના નિવેદનો લીધા છે.આ ઉપરાંત સિક્યોરીટી ગાર્ડસ અને ઘટનાને નજરે જોનારાઓના અને મૃતક વિદ્યાર્થીના પરિવારજનો મળી કુલ 15 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે.ઇજાગ્રસ્ત વિદ્યાર્થી બહારથી ચાલતો સ્કૂલમાં આવે છે અને પગથિયા પર બેસી જતો CCTV કેમેરાના ફુટેજમાં દેખાય છે. આ બાબતે પણ ક્રાઇમબ્રાંચ તપાસ કરી રહી છે.
