શક્તિપીઠ અંબાજી ખાતે 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે. શક્તિ અને ભક્તિના આ મીની કુંભ મેળાનો પ્રારંભ કલેક્ટર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે કરાવ્યો શુભારંભ .
શક્તિપીઠ અંબાજી ખાતે આજે સવારે 9:30 કલાકે માતાજીના રથનું પૂજન-અર્ચન કરી રથયાત્રા સાથે મેળાનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો. દાંતા રોડ પર વેંકટેશ માર્બલ નજીક શાસ્ત્રોક્ત વિધિથી રથની પૂજા કરવામાં આવી. મેળાના પ્રારંભ સાથે જ ‘બોલ મારી અંબે જય જય અંબે’ના નાદથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠ્યું.
“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના સૂત્ર સાથે પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ થયું છે. ભાવિક ભક્તોને સગવડો પુરી પાડવામાં આવી છે. અને સાથે જ માહિતી કેન્દ્રો અને પોલીસનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્રે લાખો શ્રદ્ધાળુઓ માટે વિશેષ આયોજન કર્યું છે. માઈભક્તોની સગવડ માટે સેવાભાવી સંસ્થાઓએ માર્ગ પર ઠેર-ઠેર સેવા કેમ્પ શરૂ કર્યા છે.
નવલા નોરતાનું નિમંત્રણ આપવા માટેના આ મેળામાં દૂર-દૂરથી લાખો શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને આવશે. વહીવટી તંત્રે યાત્રાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી છે.
