સરકારી વિભાગના અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા નેતાઓ અને સામાન્ય લોકોનાં ફોન ન ઉપાડવા અને યોગ્ય જવાબ ન આપવા અંગે અનેક ફરિયાદો થતાં આખરે હવે રાજ્ય સરકાર (State Government Department) આવા બેજવાબદાર અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે એક પરિપત્ર જાહેર કરી ગાઈડલાઇન બહાર પાડી છે, જેમાં મહેસૂલ વિભાગના (Revenue Department) વર્ગ-1, 2 ના અધિકારીઓએ ચૂંટાયેલા નેતા અને જનતાનાં ફોન ઉપાડવા અને કોલબેક કરવા જણાવ્યું છે.
ગુજરાતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સામાન્ય લોકોની ફરિયાદોને લઈને રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના અધિકારીઓ માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. અધિકારીઓ દ્વારા ફોન કોલ્સને અવગણવાની વધતી ફરિયાદો પછી સરકારે આ પરિપત્ર જારી કર્યો છે, જેમાં વર્ગ-1 અને વર્ગ-2 ના અધિકારીઓને ફરજિયાત રીતે ચૂંટાયેલા નેતાઓના કોલ્સ ઉપાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કોઈ કારણસર કોલ ઉપાડી ન શકાય તો તાત્કાલિક કોલબેક કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
માહિતી અનુસાર, મહેસૂલ વિભાગના (Revenue Department) અધિકારીઓને ફોન પર વાત કરવા માટે પણ સામાન્ય વહીવટ વિભાગની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. નોંધનીય છે, છેલ્લા ઘણા સમયથી ધારાસભ્યો, સાંસદો અને જિલ્લા પંચાયત પ્રમુખો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, તેમના વિસ્તારોમાં જન કાર્યો અટકી પડે છે કારણ કે મહેસૂલ વિભાગના અધિકારીઓ તેમના ફોન કોલ્સ ઉપાડતા નથી અથવા ઉપલબ્ધ રહેતા નથી. આ કારણે જનતાની સમસ્યાઓનો જલદી ઉકેલ આવતો નથી.