મુખ્યમંત્રીના આ નિર્દેશ બાદ મંત્રીઓ મેદાનમાં ઉતરી ખેડૂતોની વચ્ચે પહોંચી તેમની વેદના સાંભળી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે મળેલી કેબિનેટની બેઠકમાં સર્વેને મંજૂરી અપાઈ છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસેલા કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીના આ નિર્દેશ બાદ મંત્રીઓ મેદાનમાં ઉતરી ખેડૂતોની વચ્ચે પહોંચી તેમની વેદના સાંભળી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે મળેલી કેબિનેટની બેઠકમાં સર્વેને મંજૂરી અપાઈ છે. હવે ગ્રામસેવકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીનો સર્વે કરશે. સર્વે બાદ રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. એક અઠવાડિયામાં સર્વેની કામગીરી કરાશે.
રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠા)ના કારણે ખેતીના પાકોને થયેલી વ્યાપક નુકસાની અંગે રાજ્ય સરકારે મોટા સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી, અને ખેડૂતોને રાહત આપવા માટે કૃષિ વિભાગને સૂચના આપવામાં આવી છે. કેબિનેટે વિભાગને માવઠાથી થયેલી નુકસાનીના આંકલન અને તેના પરની ઝડપી કામગીરી પૂરી કરીને ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરવાની તૈયારીઓ કરવા આદેશ કર્યો છે. સરકારનું લક્ષ્ય છે કે, ખેડૂતોને વહેલી તકે આર્થિક સહાય મળી રહે, જેથી તેઓ આગામી પાકની તૈયારી કરી શકે અને નુકસાનની ભરપાઈ થઈ શકે.
આ ઉપરાંત આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ છે. આગાઉ પણ બંન્ને નેતા પ્રવક્તા મંત્રી તરીકે રહી ચૂક્યા છે. આ પહેલા જવાબદારી ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સંભાળી રહ્યા હતા. હવે નવી ફરજ હેઠળ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સરકારના નિર્ણયો અને નીતિઓ અંગે મીડિયાને માહિતી આપશે.
