અંબાજીમાં 1 લી સપ્ટેમ્બરથી શરૂ થનારા ભાદરવી પૂનમના મેળાને લઇ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષે મેળામાં અવનવા આકર્ષણ ઉમેરવામાં આવે છે. આ વર્ષે 400 ડ્રોન દ્વારા લાઇટ શો યોજવામાં આવશે. અંબાજીના આકાશમાં પ્રથમવાર એક સાથે ભાદરવી પૂનમના મેળામાં આ પ્રકારનું આયોજન પ્રથમવાર થશે. ભાદરવી પૂનમના મેળાના ત્રીજા અને ચોથા દિવસે રાત્રે 8 વાગ્યા પછી શો યોજાશે.
30 થી 40 લાખ ભક્તો આવવાનો અંદાજ છે. જગત જનની માં અંબાના ધામ અંબાજીમાં પહેલી સપ્ટેમ્બર થી ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ રહી છે. મંગળવારે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહીર પટેલના અધ્યક્ષ સ્થાને પ્રેસ વાર્તાનું આયોજન અંબાજી ખાતે કરાયું હતું.આ વર્ષે અંબાજીના આકાશમાં ભવ્ય લાઈટ શો અનેરૂ આકર્ષણ સર્જશે.
વહીવટદાર કૌશિકભાઇ મોદીએ જણાવ્યું કે રાત્રિના સમયે કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે આંબા ઘાટા સુધી સ્ટ્રીટ લાઈટ ગોઠવવામાં આવી છે. અંબાજીમાં વોટર પ્રુફ વિશાળ સામિયાણા બનાવવામાં આવ્યા છે જેમાં યાત્રિકોને રાત્રિ દરમિયાન કોઇપણ પ્રકારની મુશ્કેલી ના પડે તેની વિશેષ તકેદારી રાખવામાં આવી છે. ટોયલેટ બ્લોક પણ જુદી જુદી જગ્યાએ ઊભા કરવામાં આવ્યા છે.
વહીવટીતંત્ર દ્વારા દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખાં, સફાઈ, પાણી, ટોઇલેટ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે. આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓથી મેળાને યાદગાર બનાવવા માટેનું આયોજન કરાયું છે. જેના માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ 29 જેટલી જિલ્લા કક્ષાની સમિતિઓ પણ બનાવાઈ છે.
ટ્રસ્ટના વહીવટદારશ્રી કૌશિકભાઇ મોદીએ જણાવ્યું હતું કે, એનાઉન્સ 6 કિલો મીટર સુધી સંભળાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. 332 જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળાનું મોનીટરીંગ કરવામાં આવશે. 60 કિલોમીટર વિસ્તારમાં જરૂરિયાત મુજબ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઊભી કરાશે. સફાઈ માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે.દર બે કિલોમીટર એ ટ્રેક્ટર કચરો એકઠો કરશે.
