સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણીપુરી અને આલુપુરી બનાવવાના નામે ચાલતું ‘ઝેર’નું કારખાનું ઝડપાયું છે, જ્યાં ગટરની ગંદકી વચ્ચે લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા હતા. ગુલશન નગરના 10થી વધુ ઘરોમાંથી સડેલા બટાટા, ગંદા કપડામાં લપેટેલો માવો અને વારંવાર ગરમ કરવાથી ડામર જેવું કાળું પડી ગયેલું ઝેરી તેલ વાપરીને ખાદ્ય સામગ્રી તૈયાર કરવામાં આવતી હતી, જે આખા સુરત શહેરમાં સપ્લાય થતી હતી.
ગાંધીનગર અને ઈન્દોરમાં ફાટી નીકળેલા રોગચાળા બાદ હરકતમાં આવેલી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીની ટીમે આ સ્થળો પર ત્રાટકીને હજારો લિટર અખાદ્ય તેલ અને ક્વિન્ટલ મોઢે સડેલા બટાટાનો નાશ કરી, જવાબદારો સામે આકરો દંડ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લાલ આંખ કરી છે.
તપાસ દરમિયાન જોવા મળ્યું કે, જે પૂરીઓ વેચવા માટે રાખવામાં આવી હતી તે ભેજ અને ગંદકીને કારણે સડી ગઈ હતી અને કાળી પડી ગઈ હતી. પૂરી તળવા માટે જે તેલનો ઉપયોગ થતો હતો તે એટલી હદે બળી ગયું હતું કે તે ડામર જેવું કાળું દેખાતું હતું. આવા અખાદ્ય તેલનો ઉપયોગ કેન્સર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓ નોતરી શકે છે.