અકસ્માત બાંગ્લાદેશમાં રાજબાડી જિલ્લાના દાઉલાદિયા ટર્મિનલ પર થયો હતો. બસ ફેરી પર ચઢી રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ સીધી નદીમાં ખાબકી. બાંગ્લાદેશમાં બસો અને વાહનોને નદી પાર કરાવવા માટે ફેરીનો ઉપયોગ થાય છે. આ એક મોટી બોટ કે જહાજ જેવું હોય છે. બસમાં લગભગ 40 લોકો સવાર હતા. આ અકસ્માત બુધવારે સાંજે થયો હતો. ત્યારે માત્ર 2 લોકોના મોત થયાના સમાચાર આવ્યા હતા.
વડાપ્રધાન તારિક રહેમાને બચાવ કામગીરીની માહિતી લીધી છે. સાથે જ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.
બચાવ ટીમે ‘હમઝા’ નામના જહાજની મદદથી લગભગ 6 કલાકની જહેમત બાદ મધ્યરાત્રિએ બસને બહાર કાઢી. તેમાંથી 21 મૃતદેહો મળ્યા, જ્યારે ડાઇવર્સે અગાઉથી જ બે મહિલાઓના મૃતદેહો શોધી કાઢ્યા હતા. ફાયર સર્વિસ અને કોસ્ટગાર્ડના ડાઇવર્સ સેના અને પોલીસની મદદથી ગુમ થયેલા લોકોની શોધખોળમાં લાગેલા છે.
https://www.instagram.com/reel/DWVk3-Wk21-/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
અધિકારીઓએ જણાવ્યું કે બસ ઢાકા જઈ રહી હતી. તેમાં સવાર ઘણા મુસાફરો ઈદની રજાઓ પૂરી કરીને રાજધાની પરત ફરી રહ્યા હતા, જેમાં બાળકો પણ સામેલ હતા. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, બસમાં સવાર ઘણા લોકો એક જ પરિવારના હતા. કેટલાક લોકો બહાર ઊભા હોવાને કારણે બચી ગયા, જ્યારે તેમના પરિવારજનો બસની અંદર ફસાયેલા રહી ગયા.