સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનો પ્રત્યે આદર અને સંવેદના પ્રગટ કરવાના ઉમદા હેતુથી ‘દિવ્યાંગ વંદના સમારોહ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ ડી.કે. સ્વામીના માર્ગદર્શન હેઠળ આ ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ સંપન્ન થયો હતો. મહાશિવરાત્રી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરૂપના વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા સિંહાસનને બ્લુ ડેઝીના ફૂલોથી ‘શિવસ્વરૂપ થીમ’ પર દિવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું. વિવિધ સંસ્થાઓના દિવ્યાંગ ભાઈ-બહેનોને મંદિરમાં આદરપૂર્વક આવકારી, લાઇનમાં ઉભા રહ્યા વિના સીધા જ દાદાના સુગમ દર્શન કરાવવામાં આવ્યા હતા.
દર્શનાર્થે આવેલા તમામ દિવ્યાંગો માટે મંદિર દ્વારા ઉત્તમ ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી.બાળકો માટે DJ ના તાલે ગીત-સંગીતનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ મન મૂકીને આનંદ માણ્યો હતો.સંતોએ ‘કિંગ ઓફ સાળંગપુર’નું માહાત્મ્ય સમજાવી તમામ દિવ્યાંગોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે ધર્મેન્દ્ર મહારાજ, પ્રવિણસિંહ, ગૌતમભાઈ તેમજ મંદિરના તમામ સ્વયંસેવકો, ભક્તો અને સિક્યુરિટી સ્ટાફે ખડેપગે રહીને સેવા આપી હતી. આ આયોજન દ્વારા સાળંગપુર હનુમાનજી મંદિરે સામાજિક જવાબદારી અને ભક્તિનો એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. “સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનો પ્રત્યે આદર અને સંવેદના પ્રગટ કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.”