અમદાવાદ માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા નાગરિકોની સલામતી અને સુગમતા સુનિશ્ચિત કરવા માટે યુદ્ધના ધોરણે માર્ગ સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ નજીક રાજ્ય ધોરીમાર્ગ પરના ક્ષતિગ્રસ્ત ભાગોને ઉચ્ચ ગુણવત્તાવાળા ડામર પેચવર્ક દ્વારા સફળતાપૂર્વક રિપેર કરવામાં આવ્યા છે. વિભાગની આ કામગીરી ત્વરિત અને ગુણવત્તાયુક્ત સમારકામ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
અમદાવાદ જિલ્લાના સાણંદ બાવળા રોડ કિ.મી. ૦/૦ થી ૧૭/૬૦૦ની કામગીરી હાથમાં ધરવામાં આવી છે. રાજ્ય ધોરી માર્ગ નં.૧૪૪ સાણંદ બાવળા રોડ સાણંદ તાલુકાને બાવળા તાલુકા સાથે જોડતો ખૂબ જ અગત્યનો રસ્તો છે. જે રસ્તો સાણંદ નગરપાલિકા વિસ્તાર, સોયલા, પીપણ, નાની દેવતી, મોડાસર, લોદરીયાલ જેવા ગામો તેમજ બાવળા નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થાય છે, જ્યાં ખૂબજ મોટા પ્રમાણમાં ઔધોગિક તેમજ રેસિડેન્શિયલ એકમો આવેલા છે જેના કારણે રસ્તા પર ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થતી રહે છે. જેથી માર્ગ અને મકાન વિભાગની રિસરફેસિંગની કામગીરીના કારણે તમામ વાહન ચાલકોનો સમય તથા ઇંધણની બચત થશે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી સુનિશ્ચિત કરીને બાકી રહેલી તમામ મરામત કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે તંત્ર કટિબદ્ધ છે, જેથી પ્રજાજનોને સુગમ અને સુરક્ષિત પરિવહનની સુવિધા મળી રહે.
