અજિત પવારની અંતિમ યાત્રા તેમના કાટેવાડી નિવાસસ્થાનથી તેમને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. શોભાયાત્રા લગભગ 6 કિલોમીટરનું અંતર કાપી સ્મશાનભૂમિ પહોંચી હતી. શોભાયાત્રા સાથે રહેલા સમર્થકોએ “અજીત દાદા અમર રહે!” ના નારા લગાવ્યા. પોતાના નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ હતી. આંસુભરી આંખો સાથે લોકોએ અજિત પવારને અંતિમ વિદાય આપી.
પવારનું ચાર્ટર્ડ પ્લેન બુધવારે સવારે 8.45 વાગ્યે ક્રેશ થયું હતું. તેઓ 66 વર્ષના હતા. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું.
આ અકસ્માતમાં પવારના સુરક્ષાકર્મી, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ સહિત 5 લોકોના મોત થયા હતા. પવાર 5 ફેબ્રુઆરીએ પુણેમાં યોજાનારી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 4 રેલીઓને સંબોધિત કરવાના હતા. પવારના નિધન પર મહારાષ્ટ્રમાં 3 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. તેમની અંતિમયાત્રામાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. બારામતીને જોડતા રસ્તાઓ પર અનેક જગ્યાએ જામ જેવી સ્થિતિ સર્જાઈ છે. અજિત પવારની છેલ્લી ઝલક મેળવવા માટે તેમના સમર્થકો પગપાળા, મોટરસાયકલ અને ટ્રેક્ટર દ્વારા પહોંચ્યા હતા.
આ પહેલા અજિત પવારના પાર્થિવ દેહને બારામતીના કાટેવાડી સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં અજિત પવારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જેમાં મહારાષ્ટ્ર સરકારનું આખું મંત્રીમંડળ હાજર રહ્યું હતું.