અંબાજી મંદિરમાં 7 સપ્ટેમ્બર 2025ના રોજ ભાદરવી પૂનમ નિમિત્તે ચંદ્રગ્રહણને કારણે દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના જણાવ્યા અનુસાર, સવારે 6 વાગ્યાથી પ્રથમ આરતી શરૂ થશે.
સવારે 6થી 10 વાગ્યા સુધી ભક્તો સામાન્ય રીતે દર્શન કરી શકશે. સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. બપોરે 12થી 12:30 દરમિયાન શયનકાળ આરતી યોજાશે.
બપોરે 12:30 બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ બંધ રહેશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યા સુધી માત્ર જાળીમાંથી જ દર્શન કરી શકાશે. સાંજે 5 વાગ્યા પછી મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે.
મંદિર વહીવટીતંત્રે તમામ માઈભક્તોને આ સમય પરિવર્તનની નોંધ લેવા વિનંતી કરી છે. 8 સપ્ટેમ્બર 2025થી મંદિરનો આરતી અને દર્શનનો સમય નિયમિત ક્રમ મુજબ રહેશે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ગ્રહણના સમયગાળા પહેલાં સૂતકકાળમાં અને ગ્રહણ દરમિયાન મંદિરો બંધ રાખવામાં આવે છે. આ કારણે ગુજરાતના મોટાભાગના સુપ્રસિદ્ધ મંદિરો બપોર પછી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
હિન્દુ પંચાંગ અનુસાર, ચંદ્રગ્રહણનો સૂતક કાળ ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલાં શરૂ થાય છે. જે ગ્રહણ સમાપ્ત ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. સૂતક કાળ અને ગ્રહણને ધ્યાનમાં રાખીને ગુજરાતના મોટા મંદિરો દ્વારા ભક્તો માટે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં મોટાભાગના મંદિરોમાં બપોરના સમય પછીની આરતી અને તમામ પૂજાઓ પણ બંધ રાખવામાં આવી છે. આ સાથે જ બપોર પછી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે.
ડાકોરનું રણછોડરાય મંદિર બપોરે 2 વાગ્યે, શક્તિપીઠ અંબાજી મંદિર અને ઊંઝા ઉમિયા માતા મંદિર સાંજે 5 વાગ્યે, શામળાજી મંદિર અને બહુચરાજી શક્તિપીઠ મંદિર સાંજે 6 વાગ્યે બંધ કરી દેવામાં આવશે.
ચંદ્રગ્રહણનો સમય (પ્રભાસ ક્ષેત્રના સ્થાનિક સમય મુજબ)
વેધ પ્રારંભ: 7 સપ્ટેમ્બર, 2025 સવારે 11:19 કલાકે
ગ્રહણ સ્પર્શ: રાત્રે 8:10
ગ્રહણ મધ્ય: 11:21
ગ્રહણ મોક્ષ: 8 સપ્ટેમ્બર, મધરાત્રે 2:05
