અનંત ચતુર્દશીના અવસર પર મુંબઈ પોલીસને એક ધમકીભર્યો મેસેજ મળ્યો છે. આ ધમકીભર્યો મેસેજ ટ્રાફિક-પોલીસના સત્તાવાર વ્હોટ્સએપ નંબર પર મોકલવામાં આવ્યો હતો. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે શહેરમાં 34 વાહનમાં હ્યુમન બોમ્બ મૂકવામાં આવ્યા છે અને વિસ્ફોટ પછી આખું મુંબઈ હચમચી જશે. આ ઉપરાંત પોતાને “લશ્કર-એ-જેહાદી” નામનું સંગઠન ગણાવતાં વ્યક્તિએ લખ્યું છે કે 14 પાકિસ્તાની આતંકવાદી ભારતમાં ઘૂસી ગયા છે. ન્યૂઝ એજન્સી PTIએ પણ આ ન્યૂઝની પુષ્ટિ કરી.
આ ધમકીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં વિસ્ફોટ કરવા માટે 400 કિલો RDXનો ઉપયોગ કરાશે, જે 1 કરોડ લોકોના જીવ લઈ શકે છે. આ ધમકી બાદ મુંબઈ પોલીસ સંપૂર્ણપણે સતર્ક થઈ ગઈ છે અને શહેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ આ ધમકીની દરેક દૃષ્ટિકોણથી તપાસ કરી રહી છે. મુંબઈ ભારતના સૌથી ગીચ વસતિવાળાં શહેરોમાંનું એક છે. આવી સ્થિતિમાં પોલીસ કોઈ બેદરકારી દાખવતી નથી. હાલમાં પોલીસ આ મામલાની ખૂબ જ બારીકાઈથી તપાસ કરી રહી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જે વ્હોટ્સએપ નંબર પરથી આ મેસેજ મોકલવામાં આવ્યો હતો એને ટ્રેસ કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે “મુંબઈ પોલીસ હંમેશાં સતર્ક છે અને અમે દરેક વસ્તુ પર નજર રાખીએ છીએ. જનતાએ ગભરાવાની જરૂર નથી, પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને બધું શાંતિપૂર્ણ છે.” આ પહેલીવાર નથી, જ્યારે આવી ધમકી આપવામાં આવી હોય.
26 જુલાઈના રોજ મુંબઈને હચમચાવી નાખવાની બીજી ધમકી આવી, જેના કારણે હંગામો મચી ગયો. એવું કહેવામાં આવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. ધમકી આપનારી વ્યક્તિએ સ્પષ્ટ કહ્યું હતું કે સ્ટેશન પર બોમ્બ મૂકવામાં આવશે, જે મુસાફરોના જીવને જોખમમાં મૂકી શકે છે. આ સમય દરમિયાન પણ પોલીસને તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નથી.
