સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આજે, શુક્રવારે, 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એકતા નગરમાં સ્થિત સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ અવસરે, એકતા નગરમાં પ્રથમવાર દિલ્હી જેવી પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીની હાજરીમાં આ ભવ્ય પરેડ રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આપેલા સંબોધનની શરૂઆત ‘સરદાર પટેલ અમર રહે… અમર રહે’ ના નારા સાથે કરી હતી. તેમણે કહ્યું કે સ્વતંત્રતા પછી સરદાર પટેલે 550થી વધુ રજવાડાઓને એક કરવાનું અશક્ય લાગતું કાર્ય પૂર્ણ કર્યું અને તેમના માટે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું વિઝન સર્વોપરી હતું.
PM મોદીએ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પર સરદાર પટેલની સમગ્ર કાશ્મીરને એક કરવાની ઈચ્છા પૂર્ણ થતી અટકાવવાનો આક્ષેપ કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસની નબળી નીતિઓને કારણે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના ગેરકાયદેસર કબજામાં આવ્યો, જેના કારણે દેશે દાયકાઓ સુધી કિંમત ચૂકવી. તેમણે ભૂતકાળની સરકારો પર રાષ્ટ્રની સાર્વભૌમત્વ પ્રત્યે ગંભીરતાનો અભાવ હોવાનો આક્ષેપ કર્યો, જેના કારણે કાશ્મીર, ઉત્તરપૂર્વમાં સમસ્યાઓ અને દેશભરમાં નક્સલવાદ અને માઓવાદી આતંકવાદનો ફેલાવો થયો. PMએ ભારપૂર્વક જણાવ્યું કે આ સરદાર પટેલનું ભારત છે, જે પોતાની સુરક્ષા અને સન્માન સાથે કોઈ સમાધાન કરતું નથી. કલમ 370ના બંધનો તોડીને કાશ્મીર આજે મુખ્ય પ્રવાહમાં જોડાઈ ગયું છે અને “ભારત ઘર મેં ઘુસ કર મારતા હૈ” તે હવે આખી દુનિયા જાણે છે. તેમણે દાવો કર્યો કે 2014 પછી નક્સલવાદ અને માઓવાદને ઠેકાણે પાડવામાં આવ્યા છે અને જ્યાં સુધી દેશમાંથી આતંકવાદ મુક્ત નહીં થાય ત્યાં સુધી સરકાર અટકશે નહીં.
સંબોધન પહેલાં, વડાપ્રધાને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ પરેડમાં સલામી લીધી. આ પરેડનું મુખ્ય આકર્ષણ એ રહ્યું કે તેમાં ભાગ લેનાર તમામ ટુકડીઓનું નેતૃત્વ મહિલા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. BSF, CISF, ITBP, CRPF અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ સહિત કુલ 16 ટુકડીઓએ ભાગ લીધો હતો. ઓપરેશન સિંદૂરના 16 BSF મેડલ વિજેતાઓ અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતાઓ પણ પરેડમાં સામેલ થયા હતા. પરેડનું નેતૃત્વ 100 સભ્યોની હેરાલ્ડિંગ ટીમે કર્યું, જ્યારે નવ બેન્ડ ટુકડીઓ અને ચાર સ્કૂલ બેન્ડે પ્રદર્શન કર્યું હતું.
