હિતાશ્રય ગૌશાળા વૃંદાવન ધામના લાભાર્થે આયોજિત શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પ.પૂ. શ્રી ચંદનલાલજી મહારાજે કથાનું રસપાન કરાવ્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ચાણક્યપુરી ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં ભાવપૂર્વક સહભાગી થતા જણાવ્યું હતું કે, ભાગવત કથા અને એમાં પણ એનો ભાવ અહીં ખેંચી લાવ્યો છે. વૃંદાવનમાં ગૌશાળા માટે આપણે ત્યાં ભાગવત કથા થાય એ ગુજરાતીઓ માટે બેવડા આનંદ અને ગૌરવની ઘડી છે. સંતવાણી સાંભળી અમને વધુ ને વધુ જન સેવા કરવાનું માર્ગદર્શન પ્રાપ્ત થતું હોય છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વ્યાસપીઠને વંદન કરીને શ્રીમદ્ ભાગવતની પોથીનું પૂજન-અર્ચન કર્યું હતું અને ભાગવત કથાનું શ્રવણ કર્યું હતું.
હિતાશ્રય ગૌશાળા વૃંદાવન ધામના લાભાર્થે શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન ચાણક્યપુરીમાં કરવામાં આવ્યું હતું. પ.પૂ. રાધાવલ્લભ સંપ્રદાયાચાર્ય ચંદનલાલજી વિનોદલાલજી મહારાજે ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું. ચાણક્યપુરીમાં આવેલ ડાહીબા સમાજ ભવન હોલ ખાતે ભાગવત કથાનું આયોજન તા. ૧૦થી ૧૬ સપ્ટેમ્બરના દિવસોમાં કરવામાં આવ્યું હતું.
