આજે પોષ સુદ પૂનમ એટલે કે જગતજનની મા અંબાનો પ્રાગટ્યોત્સવ. વહેલી સવારની મંગળા આરતીથી જ હજારો ભક્તોએ ‘બોલો માડી અંબે, જય જય અંબે’ના નાદ સાથે માના આશીર્વાદ મેળવ્યા હતા.
આજે માં જગદંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અંબાજી મંદિર પરિસર એક અદભૂત અને દિવ્ય રૂપમાં જોવા મળી રહ્યું છે. આ ખાસ દિવસની ઉજવણી માટે સમગ્ર મંદિરને દેશ-વિદેશના રંગબેરંગી ફૂલોથી અત્યંત કલાત્મક રીતે શણગારવામાં આવ્યું છે.
આજના વિશેષ દિવસે ગબ્બરથી લાવવામાં આવેલી અખંડ જ્યોત અને ત્યાર બાદ માતાજીની હાથી પર સવારી (શોભાયાત્રા) મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર અંબાજી નગરને રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવમાં મહાશક્તિ યાગ, અન્નકૂટ અને વિવિધ સામાજિક-સાંસ્કૃતિક ઝાંખીઓ દ્વારા માના પ્રાગટ્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
ગબ્બર ગોખથી નીકળેલી અખંડ જ્યોતયાત્રા વાજતે-ગાજતે અંબાજી નિજ મંદિરે આવી પહોંચી છે. પર્વત પરની અખંડ જ્યોતમાંથી પ્રજ્વલિત કરવામાં આવેલી આ જ્યોત જ્યારે મંદિરે પહોંચી, ત્યારે વાતાવરણ ‘જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
મંદિરમાં સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હજારોની સંખ્યામાં ઉમટેલા માઈભક્તો કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને માના દર્શન કરી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે.
ચાચર ચોકમાં એક તરફ ભક્તોની ભારી ભીડ જોવા મળી રહી છે, તો બીજી તરફ યજ્ઞકુંડમાં હોમાતી આહુતિઓ અને ધૂપની સુગંધથી સમગ્ર મંદિર પરિસર દિવ્ય બની ગયું છે. વિશ્વ શાંતિ અને ભક્તોના કલ્યાણ માટે આ મહાયજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.