ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા હિમાલયન સમર્પણ ધ્યાન સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 ડિસેમ્બરના રોજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ગાંધીનગર, મહાત્મા મંદિર ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રાજ્ય સ્તરીય ધ્યાનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શ્રી શિશપાલજી, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, હિમાલયન સમર્પણ ધ્યાનયોગના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પટેલ તથા શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી અમ્બરીષ મોડક સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શ્રી શિશપાલજીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોગ ટ્રેનર્સને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યાં હતાં. મુખ્યમંત્રીશ્રીએ પોતાના વક્તવ્યમાં ધ્યાન અને યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું અને એના વિશે સ્વયંના અનુભવો ઉપસ્થિત શ્રોતાઓને કહ્યા હતા.
હિમાલયન સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પ્રવચનનો સહુએ લાભ લીધો હતો. તેમણે સ્વયંની સાધનાની શરૂઆતના પ્રસંગો વિશે જણાવ્યું હતું. આ ઉપરાંત યોગ વિશે તેમણે જણાવ્યું હતું કે યોગનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ છે, તેને યોગાસન સુધી સીમિત ન બનાવવું જોઈએ. પરમાત્માથી આધ્યાત્મિકતાની શરૂઆત થાય છે અને પૂર્ણ પણ પરમાત્મા પર જ થાય છે. પરમાત્મા એક વિશ્વચેતનાશક્તિ છે. ધ્યાન કરવું ખૂબ સરળ છે. કંઈ ન કરવું એ ધ્યાન છે. આ ઉપરાંત તેમણે ધર્મ, ગુરુ, ધ્યાન, કર્મમુક્ત અવસ્થા, વસુધૈવ કુટુંબકમ્ વિશે ખૂબ જ વિસ્તારપૂર્વક જણાવ્યું હતું. પ્રવચનની સમાપ્તિ બાદ ઉપસ્થિત લોકોને વિશ્વ ધ્યાન દિવસના પાવન અવસર પર પૂજ્ય સ્વામીજીના સાંનિધ્યમાં ધ્યાન કરવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો હતો. ધ્યાનની સમાપ્તિ બાદ પૂજ્ય સ્વામીજી સાથે એક આધ્યાત્મિક પ્રશ્નોતરીના સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં 10000થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો.
પૂજ્ય શ્રી શિવકૃપાનાનંદ સ્વમીજી જેઓ છેલ્લાં 30 વર્ષથી સમગ્ર વિશ્વમાં ધ્યાન અંગે મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહેલી વર્લ્ડ મેડિટેશન કાઉન્સિલમાં દક્ષિણ એશિયાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય જીનીવા ખાતે પૂજ્ય સ્વામીજી ધ્યાન શિબિર લઈ ચૂક્યા છે તેમના પ્રત્યક્ષ સાંનિધ્યમાં ઉપસ્થિત મહાનુભાવોએ ધ્યાનનો લાભ લીધો.
આ કાર્યક્રમમાં ગુરુતત્ત્વ ટીમ દ્વારા વિવિધ સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા, જેનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું ગુરુતત્ત્વ, શેમારૂ સ્પિરિચ્યુઅલ લાઇફ, શેમારૂ ભટકીધામ, શેમારૂ ભક્તિ, શેમારૂ મી, ટાટા પ્લે આરાધના, એરટેલ ભક્તિ, ડિશ ટીવી ભક્તિ એક્ટિવ, ડી2એચ ભક્તિ એક્ટિવ, જિયો ટીવી પ્લસ, જિયો સ્પેશિયલ્સ એચડી, ચેનલ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
