અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો 2025 સફળતાપૂર્વક સંપન્ન થયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે પણ માઈભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા હતા. મેળામાં કુલ 40,41,306 ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા.
જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલની અધ્યક્ષતામાં સેવા કેમ્પના આયોજકો અને પત્રકારોનો સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સેવાભાવી સંસ્થાઓ અને મીડિયાકર્મીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મેળા દરમિયાન 58,118 ભક્તોએ ઉડન ખટોલાની મુસાફરી કરી હતી. એસટી બસોમાં 5,92,420 યાત્રિકોએ મુસાફરી કરી હતી. કુલ 13,525 બસ ટ્રિપ્સ કરવામાં આવી હતી. 3,072 ધ્વજારોહણ થયા હતા. 4,69,411 ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો. 23,20,802 પ્રસાદ પેકેટ અને 35,811 ચીકી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગે 3,47,672 લોકોને સારવાર આપી હતી. મંદિર ભંડારમાં 2,71,30,928 રૂપિયાની આવક થઈ હતી. 232.610 ગ્રામ સોનું અને 500 ગ્રામ ચાંદીનું દાન પ્રાપ્ત થયું હતું.
જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે સેવા કેમ્પના આયોજકો સાથે સતત બેઠકો અને સંકલનથી સમગ્ર આયોજન સફળ રહ્યું હતું. વરસાદી માહોલમાં વોટરપ્રૂફ ડોમ સાથેના સેવા કેમ્પોએ ભક્તોની સેવા કરી હતી. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે વ્યવસ્થામાં વધુ સુધારો જોવા મળ્યો હતો.