અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ટીપી 44 સ્વામિનારાયણ મંદિર સામેના રોડ પર ઇ-કોમર્સ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની સાતથી વધુ ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં આખા ગોડાઉનને ઝપેટમાં લઈ લીધું હતું. ગોડાઉનના શેડનો ભાગ પણ ધરાશાયી થઈ ગયો હતો. હાલમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું છે. જોકે ફાયરની ટીમ દ્વારા હાલ કાટમાળ નીચે કુલિંગ કરવાની કામગીરી ચાલી રહી છે.
ફાયર વિભાગના ડિવિઝનલ ફાયર ઓફિસર પંકજ રાવલે જણાવ્યું હતું કે, વહેલી સવારે ચાંદખેડા ટીપી 44 વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર સામેના રોડ પર કેશવબાગ તરફ જતા આવેલા ઈ કોમર્સ કંપનીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગી હતી તે અલગ અલગ ઈ કોમર્સ કંપનીઓના માલ સામાન સપ્લાય કરવા માટેનું ગોડાઉન હતું.
ગોડાઉનમાં ઇન્સ્ટાકાર્ટ કંપનીનો માલ હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડની સાત ગાડીઓ અને ચાર ઓફિસર વ્હીકલ સાથે તાત્કાલિક સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. શેડ બનાવીને ગોડાઉન બનાવવામાં આવેલું છે, જેમાં સવારે આગ લાગવાની ઘટના બની હતી. આગના કારણે ગોડાઉનમાં રહેલો સામાન પણ બળી ગયો હતો.
ગોડાઉનમાં વિકરાળ આગ લાગી હતી. જેના કારણે એક તરફનો શેડનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. શેડની નીચે પણ આગની જ્વાળાઓ અને આગ લાગી શકે તેવી સંભાવના હોવાના કારણે ત્યાં હાલ ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી કુલિંગ કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ગોડાઉનમાં પાછળના ભાગે તપાસ કરી હતી જ્યાં ફાયર સિસ્ટમ હાલમાં લાગેલી હોવાનું ધ્યાને આવ્યું છે. ગોડાઉનના સંચાલક અથવા માલિકને બોલાવી અને આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાના અને કુલિંગ કરવાની પ્રક્રિયા ચાલુ હોવાની વિગતો મળી રહી છે.