હિંમતનગરમાં AP કન્સલ્ટન્સીના નામે પોન્ઝી સ્કીમ દ્વારા રોકાણકારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ મામલે 7 રોકાણકારો પાસેથી 53 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે અનિલસિંહ પરમાર સહિત છ લોકો વિરુદ્ધ ગુનો નોંધી 4 આરોપીઓની અટકાયત કરી છે.
આરોગ્ય વિભાગના કરાર આધારિત કર્મચારી અનિલસિંહ પરમારે હિંમતનગરમાં આરટીઓ ચાર રસ્તા વિસ્તારમાં AP કન્સલ્ટન્સીની ઓફિસ ભાડે રાખી હતી. તેણે રોકાણકારોને ક્રિપ્ટો સહિતના રોકાણ પર 10 થી 15 ટકા ઊંચા વળતરની લાલચ આપી હતી.
ઝડપાયેલા અને ફરાર આરોપીઓની વિગત
અનિલસિંહ ઉર્ફે અનિલકુમાર પ્રદીપસિંહ પરમાર-કંપની ડાયરેક્ટર-ફરાર
સુધીરસિંહ મકવાણા – અનિલસિંહનો સાળો-ફરાર
નીકીતાબેન અનિલસિંહ પ્રદીપસિંહ પરમાર-મુખ્ય આરોપીની પત્ની – અટકાયત
હિતેન્દ્રસિંહ સજ્જનસિંહ પરમાર-કંપનીના ડાયરેક્ટર – અટકાયત
રણવીરસિંહ સજજનસિંહ પરમાર-મુખ્ય આરોપીના કાકાનો દીકરો – અટકાયત
કૃપાલસિંહ પ્રદીપસિંહ પરમાર-મુખ્ય આરોપીનો ભાઈ – અટકાયત
અનિલસિંહ પરમારે આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને નિશાન બનાવ્યા હતા. હિંમતનગર સિવિલના નર્સ દંપતી સહિત 7 લોકોએ તેની સ્કીમમાં રોકાણ કર્યું હતું. રોકાણકારોએ પોતાની લાખો રૂપિયાની મૂડી ગુમાવતા ચાર મહિના અગાઉ રજૂઆતો કરી હતી, પરંતુ હવે ફરિયાદ નોંધાઈ છે. છેતરપિંડી આચર્યા બાદ સંચાલકો રાતોરાત ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા છે. પોલીસે અનિલ પરમાર અને તેની પત્ની સહિત છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે કહ્યું કે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મિતેશ પટેલ દ્વારા AP કન્સલ્ટન્સી સેમ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. AP કન્સલ્ટન્સીના મુખ્ય ડિરેક્ટર અનિલસિંહ અને હીતેન્દ્રસિંહે અન્ય 4 લોકોની મદદથી રોકાણકારોને મહિને 10થી 12 ટકાનું વળતર આપીશું એવી લાલચ આપીને લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે.
ફરિયાદ દાખલ થઈ છે તે મુજબ 7 લોકોના 53 લાખ રૂપિયા ઇન્વેસ્ટ થયેલા છે, જેમાં આરોપીઓએ 13 લાખ રૂપિયાનું વળતર આપ્યું હતું અને બાદમાં છેલ્લા 6 મહિનાથી ઓફિસ બંદ કરીને જતાં રહ્યા છે. અત્યાર સુધીની તપાસ મૂજબ જય માતાજી ફાઇનાન્સ અને AP કન્સલ્ટન્સીના નામે છેલ્લાં 5 વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી.
રોકાણકારોને લાલચ આપીને રોકાણ કરાવવામાં આવતું હતું, જેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડબ્રહ્મા અને વડાલી તેમજ રાજસ્થાનમાં પણ અમુક જગ્યાએ આવી ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને રોકાણ કરાવીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેવી માહિતી મળી છે.
હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા 4 લોકોની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પુરાવાઓ એકત્ર કરીને તેમની સામે રિમાન્ડ સાહિની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાબરકાંઠામાં છેલ્લા ચાર મહિનામાં રોકાણના નામે અને વિઝાના નામે છેતરપિંડીની નવ જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.