અમદાવાદના ખોખરા અને CTM સાથે જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં બાકીના બે સ્પાન તોડવાના અસહ્ય વિલંબને લઈને હાટકેશ્વર વિસ્તારના તમામ શોપધારકો અને દુકાનદારો દ્વારા બંધ પાળવામાં આવ્યું છે.
હાટકેશ્વર વિસ્તારના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કરવા સાથે રોજ થતો ટ્રાફિક જામ અવરજવરમાં પડતી ભારે હાલાકીઓ અને દિવસ-રાત કાટમાળના ઉડતા ધૂળ રજકણો અને સેપટના છવાતા આવરણોથી ત્રસ્ત થઈ સંપુર્ણ બંધ પાળવાની જાહેરાત કરીને આજે 16 માર્ચે વિસ્તારની તમામ દુકાનો બંધ કરવામાં આવી છે.
હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે. આ કામગીરી ઝડપી પૂર્ણ કરવાની જગ્યાએ ધીમી ગતિએ કામગીરી ચાલી રહી હોવાથી સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાટકેશ્વર બ્રિજ તોડવા મામલે માર્ચ મહિના સુધીનો સમય હોવાનું જાણવા મળ્યું છે.
જેને લઈને આજે 16 માર્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના વિરોધમાં વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યું છે અને જો ઝડપથી આ કામગીરી પૂર્ણ નહીં થાય તો આગામી ચૂંટણીમાં પણ પરિણામ ભોગવવા માટેની ચીમકી વ્યાપારીઓએ ઉચ્ચારી છે.
મળતી વિગત અનુસાર, તંત્રએ ઓવરબ્રિજ તોડવાનો જે કોન્ટ્રાક્ટ આપ્યો છે, તે ખાનગી કોન્ટ્રાક્ટર કે તેના દ્વારા કોઈ યોગ્ય બેરિકેડ કે આડશો મુકયા વિના અને દુકાનોની આસપાસ પસાર થતા અને તુટી ગયેલ રસ્તાઓ પર ઉડતી સેપટો કે ધુળ પર પાણીના ટેન્કરો દ્વારા કોઈ છંટકાવ ના કરાતા સ્વાસ્થ્ય સાથે કરવામાં આવી રહેલ ચેડા અને શરદી ઉધરસના દુકાનદારો તેમજ ઓવરબ્રિજની બન્ને બાજુ આવેલ રહેણાંક મકાનોમાં રહેતા નાગરિકોઓ ભોગ બનતા અને તંત્રને જગાડવા આજે શોપ બંધનું એલાન આપ્યું છે.