રાજ્યમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેને હળવી કરવા માટે શહેર ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વે કરીને કામગીરી કરવામાં આવતી હોય છે. કાલુપુર તરફ અવરજવર કરનારા રોડને આગામી દિવસોમાં પહોળા કરવામાં આવશે. જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસ સર્વે કરવામાં આવ્યો છે.
કાલુપુર ત્રણ રસ્તાથી રેલવે સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર ચાર રસ્તા તરફ જતો રોડ તેમજ સારંગપુરથી કાલુપુર રેલ્વે સ્ટેશન તરફ ઝોન 3 સુધીના રોડનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. કાલુપુર ચાર રસ્તા થઈ રેલવે સ્ટેશનથી પરત કાલુપુર ચાર રસ્તા તરફ આવનારા ટ્રાએંગલ વિસ્તાર જે 80 મીટરનો ઓડ ઇવન રોડ છે. આ રોડને 100 મીટરનો કરવા સર્વે કરવામાં આવ્યો છે.
આ અંગે મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પ્રેમ દરવાજાથી કાલુપુર ચોખા બજાર થઈને કાલુપુર ત્રણ રસ્તા સુધીના ટીપી નકશા મુજબના 100 ફૂટનો રોડ દર્શાવવામાં આવ્યો છે ત્યારે તેનો પણ સર્વે કરવાની કામગીરી કરાશે.
ભવિષ્યમાં કાલુપુર રેલવે સ્ટેશન અવરજવર માટે ટ્રાફિક ખૂબ વધવાનો છે. જેને ધ્યાનમાં રાખીને કાલુપુર રેલવે સ્ટેશન તરફ અવર-જવર થનારા રોડને પહોળો કરવા માટેની પ્રક્રિયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.
સુત્રો મુજબ આ ઓડ ઇવન રોડ 20 ફૂટ પહોળો કરવાનો હોવાથી કાલુપુર ચાર રસ્તા પાસે આવેલી તેલ બજાર, ગુજરાત હજ હાઉસની લાઇનમાં આવેલી દુકાનો, ગેસ્ટ હાઉસ રેસ્ટોરન્ટ તેમજ મોતી મહેલની સામેની દુકાનો સહિતની દુકાનોનો સર્વે કરવામાં આવ્યો છે. જેને 20 ફૂટ જેટલી તોડવામાં આવશે અને રોડને પહોળો કરાશે. જ્યારે અત્યારના ટ્રાએંગલ નાનું કરવામાં આવશે.
સારંગપુરથી કાલુપુર રેલવે સ્ટેશન તરફ આવતા એક પે એન્ડ યુઝ બીએસએનએલ ઓફિસનો અને બેથી ત્રણ હોટલ ગેસ્ટ હાઉસ વગેરેનો સર્વે કરી તેની કપાત માટે નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. સુત્રો મુજબ જે 250થી વધારે દુકાનો અને પ્રેમ દરવાજાથી કાલુપુર ચાર રસ્તા તરફની દુકાનોનો સર્વે કરી અને રોડ પહોળો કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમાં જે દુકાનો કપાતમાં જઈ શકે છે એવી દુકાનોને નિયમ મુજબ વળતર મળતું હશે તો તે મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રક્રિયા કરી વળતર આપવામાં આવશે.