અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલ જેવી વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યાની બીજી ઘટના સામે આવી છે. ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થીને અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ કડુ, લાકડીઓ અને પટ્ટાવડે માર માર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. શરૂઆતમાં વિદ્યાર્થીને છરી મરી હોવાની માહિતી મળી હતી, પરંતુ સ્કૂલે આ વાતને નકારી કાઢી છે. વિદ્યાર્થીઓ વચ્ચે લાકડીઓ, પટ્ટા અને હાથમાં પહેરવાના કડા વડે મારામારી થઈ હતી.
વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વિદ્યાર્થીઓનું ટોળું એક વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે મારી રહ્યું છે. સ્કૂલની 100 મીટરના અંતરમાં જ વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. ગુંડાઓને પણ એક તરફ મુકી દે તેવી કરતૂત ધોરણ 10ના વિદ્યાર્થીઓએ કરી છે. આ ગેંગવોરના દૃશ્યો જોઈ કોઈ ન કહે કે આ ધો.10ના વિદ્યાર્થીઓ છે.
આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. હાલમાં આ મામલે આગળની કાર્યવાહી ચાલી રહી છે.
DEO એ શાળા સંચાલક સાથે કરી વાતચીત
નેશનલ સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી પર પરીક્ષા આપવા જતી વખતે બહારના યુવાનોએ હુમલો કરતા ચકચાર મચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર બાદ હાલ ડિસ્ચાર્જ કરાયો છે. શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ ઘટનાની ગંભીર નોંધ લઈ DEO પાસે સત્વરે અહેવાલ માંગ્યો છે. DEOએ શાળા સંચાલકો સાથે વાત કરી સમગ્ર વિગતો મેળવી છે અને સ્પષ્ટતા કરી છે કે હુમલો કરનારા યુવાનો શાળાના નથી. સેવન્થ ડે સ્કૂલ બાદ બનેલી આ બીજી ઘટનાને પગલે પોલીસે કડક તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
અમદાવાદની ઘાટલોડિયા નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર થયેલા હુમલાની શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ ગંભીર નોંધ લીધી છે. DEO પાસેથી મંગાવામાં આવી છે
ઘાટલોડિયાની નેશનલ સ્કૂલના વિદ્યાર્થી પર થયેલા હુમલાના સમાચાર વાયુવેગે પ્રસરતા શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આ મામલે સક્રિયતા દાખવી છે. તેમણે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી પાસે સમગ્ર ઘટનાક્રમની વિગતવાર માહિતી અને રિપોર્ટ માંગ્યો છે. શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.