ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલારૂપે અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી સ્વદેશી ભારતવર્ષ ફાઉન્ડેશન દ્વારા આગામી તા. ૫ થી ૯ ડિસેમ્બર સુધી ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે ‘સ્વદેશોત્સવ ૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીના ભાગરૂપે સંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિ-ગુજરાતના અધ્યક્ષ જગતગુરૂ શ્રી દિલીપ દેવાચાર્યજી મહારાજ, ખાખી અખાડાના મહંત મહામંડલેશ્વર મોહનદાસજી મહારાજ, ચૈતન્ય શંભુ મહારાજ અને મહંત દામોદર દાસજી સહિતના સંતોએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.
અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈને આ પ્રસંગે જણાવ્યું કે સ્વદેશોત્સવનું આયોજન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ના સ્વપ્નને મૂર્તિમંત કરશે અને આત્મનિર્ભર ભારતના આધારસ્તંભ સમાન છે.
તેમણે ઉમેર્યું કે અમદાવાદ હંમેશાંથી સ્વદેશી ચળવળનું કેન્દ્ર રહ્યું છે, અને આ મહોત્સવ સ્થાનિક MSME તેમજ સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય મંચ પૂરો પાડશે, જે શહેર માટે ગૌરવની વાત છે.
આ મહોત્સવનું મુખ્ય ધ્યેય સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન, સ્થાનિક MSME અને સ્ટાર્ટઅપ ઉદ્યોગોને રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવા અને દેશને આત્મનિર્ભર બનાવવાની ગતિને વેગ આપવાનું છે.
આજના ભૂમિપૂજન કાર્યક્રમમાં ગુજરાત પ્રાંત સંઘચાલક ડૉ. ભરતભાઈ પટેલ, સ્વદેશી જાગરણ મંચના પશ્ચિમ વિસ્તાર સંગઠક મનોહરલાલ અગ્રવાલ પણ જોડાયા હતા.
