અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વેટલેન્ડ્સનું પર્યાવરણીય સંતુલનમાં મહત્વ, જળ સંરક્ષણ, પૂર નિયંત્રણ અને સમૃદ્ધ જૈવ વૈવિધ્યના સંરક્ષણ વિશે વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને માહિતગાર કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓએ માહિતીસભર સત્રોમાં ભાગ લઈ વેટલેન્ડ્સ કેવી રીતે કુદરતી રીતે પાણીનો સંગ્રહ કરે છે, પૂરથી રક્ષણ આપે છે અને અનેક પ્રાણી-વનસ્પતિ પ્રજાતિઓ માટે આવાસ પૂરું પાડે છે તે અંગે સમજ મેળવી.
આ અવસરે ફાઉન્ડેશન ફોર ઇકોલોજિકલ વેલફેરના સ્થાપક નિર્દેશક ડૉ. કેતન ટાટુએ વેટલેન્ડ્સના મહત્વ પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે સરળ ભાષામાં વેટલેન્ડ્સની ભૂમિકા સમજાવી તેમજ વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાવી, જેના દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા વિકસે તેવો પ્રયાસ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ગુજરાત સાયન્સ સિટીના આ પ્રયાસથી પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ વધશે અને ભવિષ્યની પેઢીમાં કુદરત પ્રત્યે જવાબદારીની ભાવના વિકસશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.
